શું ખરેખર બિનસચિવાલય ક્લાર્કનું પેપર ફુટ્યુ? જાણો ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેને શું આપ્યું નિવેદન…
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્ય રીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને બે વિદ્યાર્થીઓને હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે અને બે વિદ્યાર્થીઓને તેમાં સહી પણ લેવામાં આવે છે. જો કે સુરેન્દ્રનગરમાં આ પેકેટ ન માત્ર ખુલ્લું આવ્યું હતુ પરંતુ કોઇ વિદ્યાર્થીની સહી પણ નહોતી. ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. તેમણે આ અંગે પોલીસ તપાસની પણ માંગ કરી છે.
ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું કે, પેપરલિકની કોઇ પણ ઘટના બની નથી. સુરેન્દ્રનગરમાં જે હોબાળો થયો છે તેમાં માત્ર વર્ગખંડ નિરિક્ષકની ભુલ છે. નિરિક્ષકે ભુલથી વર્ગખંડની બહાર જ સીલ તોડી નાખ્યું હતું. જે તેની ભુલ છે પેપર લીક થયાની વાત ખોટી છે. ઘટના અંગે માહિતી મળતા ગૌણસેવાપસંદગી મંડળનો સ્ટાફ અને કલેક્ટર સહિતનાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓની સમજાવટ બાદ તેઓ પરિક્ષા માટે તૈયાર પણ થઇ ગયા હતા. અમારા ડેટા અનુસાર માત્ર 20 વિદ્યાર્થીઓએ જ બહિષ્કાર કર્યો હતો. આ સમગ્ર હોબાળા દરમિયાન વિદ્યાર્થીઓનો સમય બગડ્યો તે માટે મંડળ દ્વારા તેમને વધારાનો 45 મિનિટનો સમય પણ ફાળવી દેવામાં આવ્યો હતો. પરિક્ષા ફુલપ્રુફ અને સુરક્ષીત રીતે જ પાર પડી છે.